Luke 23

1અને તેઓનો આખો સમુદાય ઊઠીને ઈસુને પિલાતની પાસે લઇ ગયા. 2અને તેઓ તેમના પર એવો આરોપ મૂકવા લાગ્યા કે, ‘અમને એવું માલૂમ પડ્યું છે કે આ માણસ અમારા લોકોને ભુલાવે છે, અને કાઈસાર રાજાને કર આપવાની મના કરે છે, અને કહે છે કે, હું પોતે ખ્રિસ્ત એક રાજા છું.’

3અને પિલાતે [ઈસુને] પૂછ્યું, ‘શું તું યહૂદીઓના રાજા છો?’ અને તેમણે તેનો ઉત્તર આપતા કહ્યું, ‘તમે કહો છો તે બરાબર છે.’ 4અને પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું, ‘આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી.’ 5પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું કે, ‘ગાલીલથી માંડીને અહીં સુધી આખા યહૂદિયામાં [ઈસુ] બોધ કરીને લોકોને ઉશ્કેરે છે.’

6પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું કે, શું, ‘આ માણસ ગાલીલના છે?’ 7અને ઈસુ હેરોદના અધિકાર નીચે છે એમ તેણે જાણ્યું, ત્યારે તેમને હેરોદની પાસે મોકલ્યા; [હેરોદ] પોતે પણ તે દિવસોમાં યરૂશાલેમમાં હતો.

8હવે હેરોદ ઈસુને જોઈને ઘણો ખુશ થયો; કેમકે તેમના સંબંધી તેણે સાંભળ્યું હતું, માટે ઘણા દિવસથી તે તેમને જોવા ઇચ્છતો હતો; અને મારા દેખતાં તે કંઈ ચમત્કાર કરશે એવી આશા તે રાખતો હતો. 9હેરોદે તેમને ઘણી વાતો પૂછી, પણ ઈસુએ તેને કશો જવાબ આપ્યો નહિ. 10અને મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેમના ઉપર આવેશથી આરોપ મૂકતા હતા.

11અને હેરોદે પોતાના સિપાઈઓ સહિત તેમનો તુચ્છકાર કરીને તથા મશ્કરી કરીને તેમને રાજવી વસ્ત્ર પહેરાવીને પિલાતની પાસે પાછા મોકલ્યા. 12અને તે જ દિવસે પિલાત તથા હેરોદ એક બીજાના મિત્ર થયા; એ પહેલા તો તેઓ એક બીજા પર વેર રાખતા હતા.

13અને પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકને સમૂહમાં બોલાવીને 14તેઓને કહ્યું કે, ‘આ માણસ લોકને ભુલાવે છે, એવું કહીને તમે તેમને મારી પાસે લાવ્યા છો; પણ, જુઓ, મેં તમારી આગળ ઈસુની તપાસ કર્યા છતાં, જે વાતોનો તમે તેમના પર આરોપ મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ ઈસુમાં મને જણાયો નથી;

15તેમ જ હેરોદને પણ જણાયો નથી ; કેમકે તેણે તેમને અમારી પાસે પાછા મોકલ્યા; અને જુઓ, મરણદંડને યોગ્ય તેમણે કશું જ કર્યું નથી. 16માટે હું તેમને થોડી શિક્ષા કરીને છોડી દઈશ.’ 17હવે પાસ્ખાપર્વ નિમિતે તેઓને સારુ કોઈએક અપરાધીને છોડી દેવો પડતો હતો.

18પણ તેઓએ ઊંચે અવાજે કહ્યું કે, ‘ઈસુને લઈ જાઓ, અને બરાબાસને અમારે સારુ છોડી દો.’ 19એ બરાબાસ તો શહેરમાં કેટલાક દંગા તથા હત્યા કરવાને લીધે જેલમાં નંખાયો હતો.

20ત્યારે ઈસુને છોડી દેવાની ઇચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો. 21પણ તેઓએ પોકારીને કહ્યું કે, ‘એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો.’ 22અને તેણે ત્રીજી વાર તેઓને કહ્યું કે, ‘શા માટે? તેણે શું ખોટું કર્યું છે? તેમનામાં મરણદંડને યોગ્ય મને કંઈ માલૂમ પડ્યું નથી; માટે હું તેને થોડી શિક્ષા કરીને મુક્ત કરી દઈશ.’

23પણ તેઓએ મોટે અવાજે દુરાગ્રહથી માગ્યું કે ‘તેમને વધસ્તંભે જડાવો.’ અને છેવટે તેઓનું ધાર્યું થયું. 24અને પિલાતે હુકમ કર્યો કે ‘તેઓના માગ્યા પ્રમાણે કરવામાં આવે.’ 25અને દંગો તથા ખૂન કરવાને લીધે જે માણસ જેલમાં પુરાયો હતો, અને જેને તેઓએ માગ્યો હતો, તેને તેણે છોડી દીધો, પણ ઇસુને તેઓની ઇચ્છાને સ્વાધીન કર્યા.

26અને તેઓ તેમને લઈ જતા હતા ત્યારે સિમોન નામે કુરેનીનો એક માણસ જે બહારગામથી આવતો હતો તેને તેઓએ પકડ્યો, અને તેના ખભા પર વધસ્તંભ ચઢાવ્યો, કે તે ઊંચકીને તે ઈસુની પાછળ ચાલે.

27લોકો તેમ જ રડનારી તથા વિલાપ કરનારી સ્ત્રીઓ, સંખ્યાબંધ માણસો, ઈસુની પાછળ પાછળ ચાલતા હતા. 28પણ ઈસુએ તેઓની તરફ ફરીને કહ્યું કે, ‘યરૂશાલેમની દીકરીઓ, મારે માટે રડો નહિ, પણ પોતાને માટે તથા તમારા બાળકોને માટે રડો.

29કેમ કે એવા દિવસો આવશે કે જેમાં તેઓ કહેશે કે, જેઓ નિ:સંતાન છે તથા જેઓને પેટે કદી સંતાન થયું નથી, અને જેઓએ કદી સ્તનપાન કરાવ્યું નથી, તેઓ પ્રસંશાપાત્ર છે.’ 30ત્યારે તેઓ પહાડોને કહેશે કે, ‘અમારા પર પડો’; અને ટેકરાઓને કહેશે કે, અમને દબાવી દો.’ 31કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું કરશે?

32બીજા બે માણસ, જે ગુનેગાર હતા, તેઓને મારી નાખવા સારુ તેમની સાથે લઈ જતા હતા.

33ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા, ત્યારે તેઓએ ત્યાં તેમને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ, અને બીજાને ડાબી તરફ, વધસ્તંભે જડ્યા. 34ઈસુએ કહ્યું, ‘હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.’ ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમનાં વસ્ત્ર અંદરોઅંદર વહેચી લીધા.

35લોકો એ જોતા ઊભા રહ્યા હતા. અને અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતા હતા કે, ‘તેમણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, [એટલે] તેમનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે.’

36સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી, અને પાસે આવીને સરકો આપવા લાગ્યા, 37અને કહ્યું કે, ‘જો તું યહૂદીઓનો રાજા હો તો પોતાને બચાવ.’ 38તેમના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે, ‘આ યહૂદીઓના રાજા છે.’

39તેમની સાથે ટીંગાડેલ ગુન્હેગારોમાંના એકે તેમની નિંદા કરીને કહ્યું કે, ‘શું તમે ખ્રિસ્ત નથી? તમે પોતાને તથા અમને બચાવો.’ 40પણ બીજાએ ઉત્તર આપતાં તેને ધમકાવીને કહ્યું કે, ‘તું તે જ શિક્ષા ભોગવે છે તે છતાં શું તું ઈશ્વરથી પણ બીતો નથી?’ 41આપણે તો વાજબી રીતે શિક્ષા [ભોગવીએ છીએ], કેમ કે આપણા કામનું યોગ્ય ફળ આપણે પામીએ છીએ; પણ એમણે તો કશું ખોટું કર્યું નથી.

42તેણે કહ્યું કે, ‘હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.’ 43ઈસુએ તેને કહ્યું કે, હું તને ચોક્ક્સ કહું છું કે,’ આજ તું મારી સાથે પારાદૈશમાં હોઈશ.’

44હમણાં લગભગ બપોર થઈ હતી, અને ત્રીજા પહોર સુધી સૂર્ય[નું તેજ] ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધકાર વ્યાપ્યો હતો. 45વળી સભાસ્થાનનો પડદો વચમાંથી ફાટી ગયો.

46ઈસુએ મોટી બૂમ પાડી, અને કહ્યું કે,’ ઓ પિતા, હું મારો આત્મા આપના હાથમાં સોંપું છું;’ તેમણે એમ કહીને પ્રાણ છોડ્યો. 47જે થયું હતું તે જોઈને સૂબેદારે ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું કે, ‘ખરેખર આ તો ન્યાયી માણસ હતો.’

48જે લોકો એ જોવા સારુ એકઠા થયા હતા તેઓ સઘળા, જે થએલું હતું તે જોઈને છાતી ફૂટતા કરતા પાછા ગયા. 49તેમના સઘળા ઓળખીતાઓ તથા જે સ્ત્રીઓ ગાલીલમાંથી તેમની પાછળ પાછળ આવી હતી, તેઓ દૂર ઊભાં રહીને આ જોતા હતાં.

50હવે યૂસફ નામે ન્યાયસભાનો એક સભ્ય હતો. તે સારો તથા ન્યાયી માણસ હતો, 51તે યહૂદીઓના એક શહેર અરિમથાઈનો હતો, તેણે તેઓના નિર્ણય તથા કામમાં સંમતિ આપી નહોતી. અને તે પણ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો.

52તેણે પિલાતની પાસે જઈને ઈસુનો મૃતદેહ માગ્યો. 53તેણે ઈસુના મૃતદેહને ઉતારીને શણના કાપડમાં વીંટીને ખડકમાં ખોદેલી કબરમાં મૂક્યો , જ્યાં કદી કોઈને દફનાવવામાં આવ્યો નહોતો.

54તે દિવસ સિદ્ધિકરણનો હતો, અને વિશ્રામવાર નજીક આવ્યો હતો. 55જે સ્ત્રીઓ તેમની સાથે ગાલીલમાંથી આવી હતી, તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ, અને તેમનો મૃતદેહ શી રીતે મૂકાયો હતો તે જોયું. તેઓએ પાછા આવીને સુગંધી તથા અત્તર તૈયાર કર્યાં. નિયમ પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો.

56

Copyright information for GujULB